
નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ
નાસિકથી સુરત તરફ લકઝરી બસ નં. જી.જે.3 એ.ડબલ્યુ 9926 જઇ રહી હતી. આ દરમિયાન સોમવારે સવારે 4.30 કલાકે કપરાડા તાલુકાના માંડવા ગામના તડકેશ્વર મંદિર પાસેના વળાંક પાસે ખાનગી બસના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ખાડામાં પટકાતા બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતાં. બસ મુખ્ય માર્ગથી ખાડામાં ઉતરી જતાં બસમાં સવાર 45 જેટલા મુસાફરોને ઇજા થઇ હતી. આ બનાવની જાણ કરાતાં જ કપરાડા પોલીસ અને 108 એમ્બુલેન્સની ટીમ સ્થળ પર ઘસી આવી હતી. ઘાયલ મસાફરોને સૌ પ્રથમ નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર આપવા તાત્કિલક નાનાપોંઢા, ધરમપુર અને વલસાડની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ ઘટના અંગે શૈલેષભાઇ ગાભાભાઇ મકવાણા રહે. હેમાંગ એપાર્ટમેન્ટ ચાંદખેડા અમદાવાદએ કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કપરાડા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી.