જૂનાગઢમાં લોકડાઉન દરમ્યાન સાવચેતીનાં ભાગરૂપે પોલીસે કરેલો નવતર પ્રયોગ

0

કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા ઉપરાંત, જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે અને જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ સતત કાળજી રાખી કામગીરી કરી રહેલ છે. આ દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ સ્ટાફના ધ્યાન ઉપર આવેલ કે, આવશ્યક ચીજ વસ્તુ લેવા આવતા લોકો મેડિકલ તથા કરિયાણાની દુકાનો ઉપર ૨૫ થી ૩૦ ના ટોળામાં એકત્રિત થતા હોય, કોરોના વાયરસનો ચેપ લાગવાની પુરી શક્યતાઓ છે. જેથી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવતા લોકો વચ્ચે એક મીટર જેટલું અંતર રાખવામાં આવે તે પણ જરૂરી છે. આ માટે પણ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા આપવામાં આવેલ સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ શહેરના જુદા જુદા ડિવિઝનના થાણા અમલદાર તથા ટ્રાફિક પીએસઆઇ અરવિંદસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા આવશ્યક ચીજ વસ્તુની મેડિકલ તથા કરિયાણાની દુકાનો ઉપર દુકાનોની સામે એક એક મીટર જેટલા અંતરો ઉપર સર્કલ બનાવી, ખરીદી કરવા આવતા લોકો આ સર્કલમાં ઉભા રહી, વારા ફરતી ચીજ વસ્તુઓ ની ખરીદી કરવામાં આવે તેવી વ્યવસ્થા દરેક દુકાનો ઉપર કરવામાં આવી હતી. આ માટે બંદીબસ્ત માં રહેલ પોલીસ દ્વારા એક પેઈન્ટર તથા સફેદ કલર સાથે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનોની સામે સર્કલ બનાવવામાં આવેલ હતા. જેનાથી દુકાનો ઉપર ખરીદી કરવા માટે આવતા લોકો ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે છે. જૂનાગઢ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પ્રયોગ નો આવશ્યક ચીજ વસ્તુ વહેંચતા દરેક કરીયાણાના વેપારી તથા મેડિકલ સ્ટોરના વેપારીઓએ આવકારેલ અને વેપારીઓ જાતે પણ આ પ્રકારના સર્કલ કરવા લાગેલ હતા. આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આ નવતર પ્રયોગ અપનાવી, દુકાનો ઉપર સર્કલ અને નિશાનીઓ કરાવી આપેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ પ્રજાને ઓછામાં ઓછી તકલીફ પડે અને કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કરવામાં આવેલ નવતર પ્રયોગની પ્રજા અને વેપારીઓમાં પ્રસંશા થઈ રહી છે.

error: Content is protected !!