મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું.
શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશશ્રી, મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદેએ રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું.
શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવશ્રી રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ તરીકે નિયુક્તી અંગે બહાર પડાયેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું. બાદમાં રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલશ્રી સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે આ પદ ખાલી પડ્યું હતુ. જે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગર્વનર શ્રીમતી દર્શના દેવી સહિત પરિવારના સભ્યો, વિધાન પરિષદના અધ્યક્ષશ્રી પ્રો. રામ શિંદે, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ઉપાધ્યક્ષશ્રી ડૉ. નીલમ ગોરે, કૌશલ વિકાસ મંત્રીશ્રી મંગલપ્રભાત લોઢા, રમતગમત મંત્રીશ્રી માણિકરાવ કોકાટે, મુખ્યસચિવશ્રી રાજેશ કુમાર, પોલીસ મહાસંચાલકશ્રી રશ્મિ શુક્લા, અધિક મુખ્ય સચિવશ્રી મનીષા મ્હૈસકર, રાજ્યપાલના સચિવશ્રી ડૉ. પ્રશાંત નારનવરે, ઉપસચિવશ્રી એસ. રામમૂર્તિ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


