અશુધ્ધ પાણી પીવાથી દેશમાં દર વર્ષે ૪ લાખ લોકોના મોત
(એજન્સી) નવી દિલ્હી,તા.૦૬:
દેશમાં સ્વચ્છ પીવાના પાણીની સગવડ નહિ મળવાને કારણે દર વર્ષે ચાર લાખ લોકો મૃત્યુ પામે છે, અને લગભગ એક કરોડ લોકો અપંગ બની રહ્યા છે અથવા અન્ય ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે. આમ છતાં, રાજ્ય સરકારો કોઈ પણ પ્રકારની જાગૃતતા દાખવતી નથી. દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ સતત જીતનારા ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુએ ચિંતા પેદા કરી છે. જાેકે, વાસ્તવિકતા એ છે કે પીવાના પાણીનો પુરવઠો હજુ સુધી રાજ્ય સરકારો માટે પ્રાથમિકતા બન્યો નથી. ભારતનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર હાલમાં પાણીના પ્રદૂષણના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરમાં દૂષિત નળનું પાણી અને ગટરનું પાણી પીવાથી સેંકડો લોકો બીમાર પડ્યા છે અને મૃત્યુ પામ્યા છે. આ ફક્ત ઇન્દોરમાં આરોગ્ય સંકટ નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાપન અને નાગરિક સુરક્ષા પ્રણાલી પર પ્રશ્નાર્થ ચિન્હ મુકાઈ ગયો છે.


