જૂનાગઢ લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ કાયદાકીય જ્ઞાન આપ્યું

વિદ્યાર્થીઓને સરળ ભાષામાં કાયદેકીય બાબતો સમજાવવામાં આવી

જૂનાગઢ લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ કાયદાકીય જ્ઞાન આપ્યું

જૂનાગઢ તા.૧૧,                 
 જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી તેમજ કેસીજીના નેજા હેઠળ કાર્યરત ઇનોવેશન ક્લબ કાર્યક્રમ અંતર્ગત સારથી ૧ પ્રથમ તબક્કાના ૩૦ કલાકના કાયદામાં ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ કાર્યક્રમ અંતર્ગત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી- જૂનાગઢ શાખા દ્વારા કોર્ટ દ્વારા ન્યાયથી વંચિત રહેતા લોકો માટે ઉપલબ્ધ મફ્ત કાનુની સેવા, મધ્યસ્થી દ્વારા કેસોના નિકાલ અંગે બે દિવસનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કોર્ષમાં ન્યાયાધીશોએ વિદ્યાર્થીઓને કાયદાકિય  આંટીઘૂંટી-જુદી જુદી કાયદાકીય બાબતોને સરળ ભાષામાં સમજાવી હતી. આ કાયદાકીય સ્ટાર્ટઅપના સંદર્ભે આયોજિત વ્યાખ્યાન શ્રેણીના જુનાગઢના સિનિયર જજ શ્રી દિનેશકુમાર ચાંપાનેરીયાએ મધ્યસ્થીકરણ અન્વયે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મધ્યસ્થીકરણ એ વિવાદોની પતાવટમાં અતિ મહત્વનું પરિબળ બન્યું છે. પક્ષકારો વચ્ચે સમજુતી કરાવવા માટે મધ્યસ્થીની તરફેણ કોર્ટ પણ કરી રહી છે. કાયદાના વિદ્યાર્થીઓએ લીગલ સ્ટાર્ટઅપ તરીકે આર્બીટ્રેશનને જોવું જોઈએ.

આ ઉપરાંત જૂનાગઢની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના ન્યાયધીશ શ્રી દુર્ગેશકુમાર ચાંદનાનીએ વિદ્યાર્થીઓને પેરા લીગલ વોલિએન્ટર્સ તરીકે જોડાઇ લીગલ સ્ટાર્ટઅપ કરવા આહવાન કર્યું હતું. તેઓએ ન્યાયથી વંચિત રહેતા લોકો માટે ઉપલબ્ધ મફ્ત કાનુની સેવા સત્તા મંડળની કામગીરી અંગે વિસ્તારથી સમજાવ્યું હતું.

આ તકે ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેશભાઈ વેકરીયાએ વિદ્યાર્થીઓને મધ્યસ્થીકરણ અને પેરા લીગલ વોલિએન્ટર્સ તરીકે જોડાવા હાંકલ કરી હતી. પ્રાસંગિક પ્રવચન આપતા પ્રિન્સીપાલ શ્રી ડો.પરવેઝ બ્લોચે કાયદાના ક્ષેત્રમાં લીગલ સ્ટાર્ટઅપ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી. તેમજ શ્રી ડો.નિરંજનાબેન મહેતાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ડો.સંજયકુમાર ધાનાણીએ કર્યું હતું. તેમ સંસ્થાના આચાર્ય શ્રી ડો.પરવેઝ બ્લોચ, લો કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.