જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ગૌ મૂત્ર અને ગઁગા જળ થી અંબાજી મંદિર પરિસરનું શુદ્ધીકરણ કરાયું
અધિકારીની બેદરકારી સામે તત્કાલ કડક કાર્યવાહી કરવા આવેદન પત્ર પાઠવ્યું
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર આવેલા અંબાજી મંદિર ખાતે દારૂ અને માંસાહારની મિજબાની કરવાના આક્ષેપને લઈને વિવાદ ઉભો થયો છે. ભાવક ક્ષેત્ર જૂનાગઢ અને સાધક ક્ષેત્ર ગિરનારની પવિત્રતા ભંગ થવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે શહેર કોંગ્રેસ સમિતિએ જવાબદાર ઈસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યાં પ્લાસ્ટિકની બોટલ લઈ જવાની પણ મનાઈ છે ત્યાં આટલી માત્રામાં દારૂ અને માંસાહાર કેવી રીતે પહોંચ્યું તે મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ ફરજ પર રહેલા અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસ અને કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ઘટનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન કોંગ્રેસ સમિતિની ટીમ મંદિર પરિસર ખાતે પહોંચી અને ગૌમૂત્ર તથા ગંગાજળથી મંદિર પરિસરનું શુદ્ધિકરણ કર્યું હતું. હવે આ સમગ્ર મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહેશે.


