દ્વારકા ખાતે કાયદાકીય જાણકારી અને માહિતી માટે જામનગર ઝોનની એક દિવસીય તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.રર
ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશનની કચેરી, ગાંધીનગર દ્વારા જામનગર ઝોનમાં આવતા જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરના તમામ સરકારી વકીલો, સરકારી તબીબો, પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટઓ, સર્કલ ઓફિસરો માટે તાજેતરમાં એક દિવસીય તાલીમનું આયોજન દ્વારકા ખાતે લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નકશા, ડાઈંગ ડેકલેરેશન, ઓળખ પરેડ અને પંચનામુ તથા એફ.આઈ.આર.ની નોંધણી અને પોલીસ તપાસ તેમજ ઈજાનું પ્રમાણપત્ર, પોસ્ટમોર્ટમ નોટ ઉપર ઉપસ્થિતોને ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ એન. રાવ (ડી.ઓ.પી. કચેરી, ગાંધીનગર) તથા એ.પી.પી. ચીરાગ પી. દવે (ગાંધીનગર) અને તાલીમ શાખાના અધિકારી મિતેષ પટેલ (ડી.ઓ.પી. કચેરી, ગાંધીનગર) દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા, જામનગરના મુખ્ય જીલ્લા સરકારી વકીલ જે.કે. ભંડેરી, પોરબંદરના મુખ્ય જીલ્લા સરકારી વકીલ એસ.બી. જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં એફ.આઈ.આર.ની નોંધણી તથા પોલીસ તપાસ વિષયે ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ એન. રાવએ વિસ્તૃત વક્તવ્ય અને નકશા, ઓળખ પરેડ અને પંચનામા વિષય પર એ.પી.પી. ચીરાગ પી. દવેએ તથા ડાઈંગ ડેકલેરેશન વિષયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી લાખાભાઈ ચાવડાએ વિસ્તૃત લેક્ચર આપ્યું હતું. આ ઉપરાંત ઈજાનું પ્રમાણપત્ર અને પોસ્ટમોર્ટમ નોટ પર જામનગરની જી.જી. હોસ્પિટલના સી.એમ.ઓ. ટી.વાય. બ્લોચએ જરૂરી માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સરકારી વકીલ કચેરીના ડી.જી.પી. એલ.આર. ચાવડા તથા તેમના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન એ.પી.પી. એમ.એલ. ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.


