વેરાવળમાં મોડીરાત્રે ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત ૩નાં મોત : અરેરાટી

વેરાવળમાં મોડીરાત્રે ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત ૩નાં મોત : અરેરાટી

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૬
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગત મોડીરાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરના ખારવાવાડ વિસ્તારમાં લગભગ ૮૦ વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ૩ માળનું રહેણાક મકાન અચાનક ધસી પડ્યું હતું, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા-પુત્રી સહિત ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ કરૂણાંતિકા રવિવારની રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યે બની હતી. નવરાત્રિનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું ત્યાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇકસવાર વ્યક્તિ, જે મકાન નીચે ઊભી હતી તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકાની ટીમ અને ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી. રાત્રે શરૂ થયેલી બચાવ કામગીરી સવારના ૪:૩૦ વાગ્યા સુધી સતત ચાલી હતી. સખત મહેનત બાદ કાટમાળ હટાવીને બચાવ ટુકડીઓએ ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતા, જ્યારે મકાનમાં રહેલી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધરાશાયી થયેલું આ મકાન અંદાજે ૮૦ વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી તેની હાલત જર્જરિત હતી. જૂના અને જર્જરિત મકાનોની જાણ હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતાં આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.આ દુર્ઘટનાને પગલે સમગ્ર ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મૃતકોના પરિવારો પર આવી પડેલા આ દુ:ખના પહાડથી સૌકોઈ સ્તબ્ધ બન્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ જૂનું મકાન હતું અને છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણના કારણે, અતિભારે વરસાદ થવાને કારણે આ જૂના મકાનના પાયામાં અને મકાનમાં ભેજ ઊતરેલો, એના કારણે આ બનાવ બન્યો છે, દરમ્યાન આ કરૂણ બનાવની જાણ થતાં ખારવા સમાજના યુવાનો અને જવાબદાર લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું સાથે સાથે પોલીસતંત્ર, નગરપાલિકા, ફાયર, જી.ઈ.બી સહિતની ટીમો દ્વારા ત્રણ કલાક રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં દિનેશ પ્રેમજી જુંગી (ઉંમર: ૩૪ વર્ષ - બાઇકસવાર), દેવકીબેન શંકરભાઈ સૂયાની (માતા), જશોદાબેન શંકરભાઈ સૂયાની (પુત્રી) સહિત ત્રણનાં મૃત્યુ થયા છે જયારે ત્રણથી ચારનો ચમત્કારી બચાવ થયો હતો.