આપાગીગાની પવિત્ર ભૂમિ સતાધારમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભજન-ભક્તિના માહોલમાં દર્શન-પૂજન કરી સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના
જૂનાગઢ તા.29
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પવિત્ર યાત્રાધામ આપાગીગાની જગ્યા સતાધાર ખાતે ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પવિત્રધામના દર્શન કરી શીશ નમાવી મહંત વિજયબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સતાધારમાં ભજન, ભક્તિ અને આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે રાજ્યમંત્રીએ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે તેમણે ભક્તિમય વાતાવરણમાં સહભાગી બની ગુરુશક્તિ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા , વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ અગ્રણી વિપુલભાઈ કાવાણી તેમજ વિવિધ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.


