કેશોદમાં સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ કેસમાં મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.25
કેશોદ શહેરના ઉતાવળીયા કાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર બનાવમાં કેશોદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એકલેરા ગામ, તાલુકો માણાવદરના રહેવાસી ભરત ભીમાભાઈ સોલંકી, સુનીલ ભીમાભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી તથા ગીતાબેન સોલંકીએ મળીને સગીરાને બદનિયતથી ફોર વ્હીલર કારમાં બેસાડી અપહરણ કર્યું હતું બાદમાં તેને ગોધી રાખી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) (એમ), 87, 137(2), 351(3), 75(2), 127(3), 54 તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 8, 12 અને 17 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારો અને અન્ય સૂત્રોના આધારે તપાસ આગળ વધારી હતી. પોલીસે ઝડપી કામગીરી કરી આરોપી ભરત ભીમાભાઈ સોલંકી, સુનીલ ભીમાભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી અને ગીતાબેન સોલંકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે તેમજ સગીરાના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


