પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

રાજ્યમંત્રીએ મુસાફરો સાથે સંવાદ સાધી ગરમીથી બચવા આરોગ્યલક્ષી જરૂરી તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો

પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

જૂનાગઢ તા.14  
વન અને પર્યાવરણ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી આજે સાસણ ગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ - સમિટમાં સહભાગી થયા બાદ જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફરો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ મુસાફરો સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યાં હતાં.
રાજ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન એસ.ટી. બસ સ્ટેન્ડના સ્ટોલ ધારકો, દુકાનદારો સાથે આત્મીય રીતે વાર્તાલાપ કર્યો હતો, ઉપરાંત તેમણે યાત્રિકોને ભારે ગરમીથી બચવા માટે સતત હાઈડ્રેટ રહેવા અને ઓઆરએસનો ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે પ્રતિકાત્મક રીતે અહીં શરબત વિતરણ કેન્દ્ર ખાતેથી પણ શરબતનું વિતરણ કર્યું હતું.
રાજ્યમંત્રીની સાથે મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા પણ આ મુલાકાત દરમિયાન તેમની સાથે જોડાયા હતા.
રાજ્ય મંત્રીને એસ.ટી. વિભાગના યાંત્રિક ઇજનેર એન.બી. વરમોરા, વહીવટી અધિકારી ડી.યુ. વાઘેલા, સિનિયર ડેપો મેનેજર એ.પી. કરમટા ઉપરાંત એસ.ટી. કર્મચારી મંડળ, ભારતીય મજદૂર સંઘ તેમજ એસ.ટી.મજૂર મહાજન સહિતના સંગઠનોના હોદ્દેદારોએ સ્વાગત કરી આવકર્યાં હતા.