મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે ૭ કરાર, પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવાયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, "અમારો વેપાર રુબેલ્સ અને રૂપિયામાં થાય છે, અમે મેક ઇન ઇન્ડિયામાં સહયોગ કરીશું

મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે ૭ કરાર, પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવાયા
Reuters

નવી દિલ્હી, તા.૬
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ૭ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે રશિયાના પ્રવાસીઓને ભારત મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે જે ૩૦ દિવસ માટે માન્ય ગણાશે. 
બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે
•કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ
•અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર
•હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર
•ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર
•પોલર શિપ (Polar Ship) પર કરાર
•મેરિટાઇમ કોઑપરેશન પર કરાર
•ફર્ટિલાઇઝર (ખાતરો) પર કરાર
ફર્ટિલાઇઝર અંગેના કરારને ભારત માટે મોટો ફાયદો માનવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરુ થવાથી ભારતને યુરિયાની આયાત પરની ર્નિભરતા ઘટાડવામાં મદદ મળશે.
ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા સમાચાર છે. આનાથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન મોદીએ રશિયાના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઈ-ટૂરિસ્ટ વિઝા શરુ કર્યા છે, જે ૩૦ દિવસ માટે માન્ય રહેશે. નોંધનીય છે કે, કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ કરાર રાહત પૂરી પાડે છે.
પુતિન સાથેની બેઠકમાં યુક્રેન સંકટ પર વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે યુક્રેન મુદ્દે આપણી વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. એક સાચા મિત્રના રૂપે તમે પણ તમામ ઘટનાઓથી અમને પરિચિત કર્યા. મને વિશ્વાસ છે કે વિશ્વ ફરી શાંતિના માર્ગ પર પરત ફરશે. પાછલા દિવસોમાં જ્યારે પણ મારી દુનિયાના નેતાઓ સાથે વાત થઈ ત્યારે મેં વારંવાર કહ્યું છે કે ભારત ન્યૂટ્રલ ( તટસ્થ ) નથી, ભારત શાંતિના પક્ષમાં છે. શાંતિના તમામ પ્રયાસોમાં અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. વિશ્વએ કોવિડથી લઈને અત્યાર સુધી ઘણા સંકટ જાેયા છે, આશા છે કે હવે પ્રગતિની રાહ પર આગળ વધશે. જેના જવાબમાં પુતિને પણ કહ્યું કે, રશિયા પણ શાંતિના જ પક્ષમાં છે. યુક્રેન સંઘર્ષ પર વાતચીત ચાલી રહી છે અને હું તમને આ વિષય અંગે સમય સમય પર અપડેટ આપતો રહીશ. 
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, "અમારો વેપાર રુબેલ્સ અને રૂપિયામાં થાય છે. અમે મેક ઇન ઇન્ડિયામાં સહયોગ કરીશું. અમે નવા લોજિસ્ટિક્સ રૂટ બનાવવા અંગે પણ ચર્ચા કરી રહ્યા છીએ. હિંદ મહાસાગર માર્ગનો ઉપયોગ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. અમે મશીન ઉત્પાદનમાં સહયોગ કરવા તૈયાર છીએ. અમે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ સહયોગ કરવા તૈયાર છીએ, જે પીએમ નરેન્દ્ર મોદીના હૃદયની નજીક છે."
પુતિને વધુમાં જણાવ્યું કે, પીએમ મોદી અને મેં વાત કરી છે. અમે ટેલિફોન દ્વારા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ચાલુ રાખીએ છીએ. રશિયા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. અમારા સંબંધો આર્થિક સહિત દરેક જગ્યાએ મજબૂત થઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, "હું રશિયન પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા અને આતિથ્યપૂર્ણ સ્વાગત માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમારા બધા ભારતીય સાથીઓનો આભાર માનું છું. ગઈકાલે, પીએમ મોદીએ તેમના ઘરે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, અને હું તે માટે તેમનો આભાર માનું છું."