દિલ્હીમાં વડાપ્રધાન મોદીને ભગવાન ગણાવી પૂજા કરવામાં આવી
ભગવાન નરેન્દ્ર મોદી ચાલીશાનું પઠન કરવામાં આવ્યું
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧:
દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને ભગવાન ગણાવી તેમની પૂજા કરવામાં આવી હતી અને તેમના પર બનાવવામાં આવેલી ‘ભગવાન નરેન્દ્ર મોદી ચાલિસા‘ નો પાઠ કરવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ કાર્યક્રમમાં બિહાર સરકારના કિન્નર કલ્યાણ બોર્ડના વાઇસ ચેરમેન ડો. રાજન સિહ મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. રાજન સિંહ એ જ વ્યક્તિ છે જેમણે તાજેતરમાં પટનામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના હોલમાં ‘નમ: ભારત‘ નામના સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. મંચ પર ભગવાન શ્રીરામની તસવીર પર વડાપ્રધાન મોદીનો ચેહરો સુપરઇમ્પોઝ કરીને બનાવેલી ફોટો મૂકવામાં આવી હતી અને પૂરા ભક્તિભાવ સાથે ચાલિસાનું પઠન કરાયું હતું. જોકે, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ આ આયોજનથી પોતાને અળગું કરી લીધું છે અને જણાવ્યું છે કે હોલમાં ચાલી રહેલા આ ચોક્કસ કાર્યક્રમ અંગે તેમને કોઈ જાણકારી નહોતી.


