પાકિસ્તાનના સિંધ પ્રાંતના મંત્રીએ કહ્યું - ગુજરાત, રાજસ્થાન, હરીયાણા અમારા છે, અમે તેને સાબિત કરી બતાવીશું
(એજન્સી) ઇસ્લામાબાદ તા.ર૯
પાકિસ્તાનના સિંધ પ્રાંતના મંત્રી સૈયદ સરદાર અલી શાહે કહ્યું કે ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન અમારા છે. તેમણે કહ્યું કે અમે તેને સાબિત કરીને બતાવીશું.
સિંધ એસેમ્બલીમાં સૈયદ અલી શાહે ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહના સિંધ સંબંધિત નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જો ભારત સિંધ પર ટિપ્પણી કરી શકે છે, તો તેઓ પણ ભારતના રાજ્યો પર દાવો કરી શકે છે.
રાજનાથ સિંહે ૨૩ નવેમ્બરે કહ્યું હતું કે આજે સિંધની જમીન ભારતનો ભાગ ભલે ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે. ક્યારે સરહદ બદલાઈ જાય કોણ જાણે, કાલે સિંધ ફરીથી ભારતમાં પાછું આવી જાય ?.
પાકિસ્તાને સોમવારે રાજનાથના નિવેદન પર વાંધો ઉઠાવતા તેને ખોટું, ઉશ્કેરણીજનક અને ખતરનાક ગણાવ્યું હતું. પાકિસ્તાને કહ્યું કે આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોની નિર્ધારિત સીમાઓ વિરુદ્ધ છે. પાકિસ્તાને માંગ કરી કે ભારતના
નેતાઓ આવા નિવેદનોથી બચે, કારણ કે તેનાથી ક્ષેત્રમાં તણાવ વધી શકે છે.


