જૂનાગઢમાં અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પૂર્વતૈયારીની બેઠક યોજાઇ

જૂનાગઢમાં અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પૂર્વતૈયારીની બેઠક યોજાઇ

જૂનાગઢ, તા.10
વર્ષ 2015 થી સંયુક્ત રાષ્ટ્રો/UN દ્વારા તા.21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું સુનિશ્ચિત કરાયું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં તા.21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026માં પણ જૂનાગઢ જિલ્લામાં જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ કક્ષાએ આ અન્વયે યોગ કાર્યક્રમો પણ યોજવા જઇ રહ્યા છે. જેના સંદર્ભે અધિક નિવાસી કલેકટર બી.એસ.બારડના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પૂર્વતૈયારી નિમિતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, જિલ્લાના પ્રતિષ્ઠિત લોકોનો ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન સમારોહનું આયોજન, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના જીવંત કાર્યક્રમ પ્રસારણ માટે સેટપની વ્યવસ્થા કરાવવી, સ્ટેજ બેક ડ્રોપ ડિઝાઇન નક્કી કરવી, યોગ કરનાર સાધકો માટે જરૂરી પાણી, દવા, મેડિકલ ટીમ, ઓ.આર.એસ., એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરાવવી, કાર્યક્રમના સ્થળે સ્વચ્છતા, વીજળી પુરવઠો સતત જળવાઈ રહે તે જોવું, કાર્યક્રમ માટે ગ્રાન્ટ ફાળવણી- આમ વિવિધ મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં આગામી તા.11 જૂનથી વિવિધ સ્થળોએ યોગ દિવસ નિમિતે તાલીમ શિબિરોનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ કયા કયા સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરી શકાઇ તે અંગે પણ અધિક નિવાસી કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, સાધુ સંતો અને પ્રબુદ્ધ નાગરિકો પણ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં જોડાઈ તે માટે પ્રયત્નો કરવામાં આવશે.
આ અંગે જરૂરી પ્રચાર પ્રસાર કરવા અને વિવિધ સ્થળોએ યોગ જાગૃતિ માટેના હોર્ડિંગ્સ, બેનરો લગાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉક્ત સમીક્ષા બેઠકમાં સંબંધિત તમામ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.