જૂનાગઢ જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત અંદાજિત 1,02,267 બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવવાનું મહા અભિયાન આરંભ કરાશે
જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ની ઉજવણી નિમિતે સમીક્ષા બેઠક યોજાઇ
જૂનાગઢ, તા.10
ભારત દેશ વર્ષ 2014માં પોલીયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે. હાલમાં ભારત પોલીયો મુક્ત છે. પરંતુ હજુપણ કેટલાક દેશોમાંથી પોલીયો નાબુદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી આપણા દેશને પોલીયો મુક્ત બનાવી રાખવા માટે સરકારના માર્ગદર્શન અનુસાર પોલીયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેની ઉજવણીની પૂર્વતૈયારી માટેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર, જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજિત 1,02,267 બાળકોને આગામી તા.28/06/2026ને રવિવારના રાઉન્ડ દરમ્યાન દરેક ગામે પોલિયોના કુલ 777 સ્થાયી બુથ બનાવીને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
તેમજ જિલ્લાના છુટાછવાયા વિસ્તારો અને વાડી વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને 20 મોબાઇલ બુથ દ્વારા અને રેલ્વે સ્ટેશનો, એસ.ટી. બસ સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા, બજારો જેવા જાહેર સ્થળોએ 35 ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલિયોની રસીના ટીપા પીવડાવવાનું આયોજન જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી તથા જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, જૂનાગઢના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.
ઉક્ત બેઠક દરમિયાન પલ્સ પોલિયો કાર્યક્રમમાં 100% સફળતા મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 593-આરોગ્ય કર્મચારી, 613-આંગણવાડી કાર્યકર બહેનો, 987-આશા કાર્યકર બહેનો તથા 224-અન્ય સ્વયંસેવકો મળીને કુલ-2417 કર્મચારીઓની 1172-ટીમો બનાવવામાં આવી છે. તેઓ દ્વારા આ પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન 118-ઝોનલ સુપરવાઇઝો કરશે અને તમામ કામગીરીનું લાઇઝનીંગ જિલ્લાના વર્ગ-1/2 ના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવશે.
આ પોલિયો રસીકરણ અભિયાનના રાઉન્ડમાં આપના નજીકના પોલિયોના બુથ ઉપર પોતાના બાળકને લઇ જઇ પોલિયોની રસી અચુક પીવડાવી બાળકને પોલિયોના રોગ સામે રક્ષણ અપાવવા તમામ બાળકોના માતા-પિતા, વાલીને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આપના બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બીમાર હોય તો પણ આપના બાળક્ને આ દિવસે ફરીથી પોલિયોની રસી અચુક પીવડાવવા અનુરોધ કરવામાં આવે છે. આ ભગીરથ કાર્યમાં ગામ આગેવાનો, પદાધિકારીઓ, સ્વૈછિક સંસ્થાઓને યોગ્ય સહકાર આપવા માટે ડો.અલ્પેશ એસ.સાલ્વી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. ઉક્ત સમીક્ષા બેઠકમાં સંબંધિત તમામ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


