શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજાેપચાર પૂજન
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.રર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ ૨૧-૦૯-૨૦૨૫ને રવિવારના રોજ સાળંગપુરમાં અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને નાડાછડીના વાઘા અને નાડાછડીની સાથે ગુલાબ-ગલગોટા ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ૬ દિવસની મહેનતે ૨ હરિભક્તો દ્વારા સુરતમાં બનાવવામાં આવેલા નાડાછડીના વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીદાદાના સિંહાસને નાડાછડીની સાથે ગુલાબ-ગલગોટા ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આ શણગાર કરતાં ૨ સંતો, ભક્તો અને પાર્ષદોને ૩ કલાકનો સમય લાગ્યો હતો. સાંજે ૦૪:૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજાેપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૬:૩૦ કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રાજાેપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજાેપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજાેપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજાેપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે. ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.


