જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામો દરમ્યાન તૂટેલા રસ્તાઓના રિસ્ટોરેશન કામનું નિરીક્ષણ કરતા કમિશ્નર પ્રભવ જોષી
જૂનાગઢ તા. 17
જૂનાગઢ મહા-નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરના વિવિધ વિકાસ કામોને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજ રોજ કમિશ્નર પ્રભવ જોષી દ્વારા વોટર વર્ક્સ શાખા અંતર્ગત ચાલતા વિવિધ પ્રકલ્પો જેમ કે,વોર્ડ નં. 7 અને 12માં ભુગર્ભ ગટરના ચાલતા કામોના લીધે જે રસ્તાઓ તૂટેલા છે, તેના રિસ્ટોરેશન એટલે કે પુન:નિર્માણની કામગીરી, સી.સી. પેચવર્ક તથા નવા રોડના નિર્માણ કાર્યોની પ્રત્યક્ષ સમીક્ષા અને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. વર્ષાઋતુ દરમ્યાન નાગરિકોને વાહન ચલાવવામાં કે આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે હેતુથી ટીંબાવાડી વિસ્તારમાં આવેલા વોંકળા સફાઈ કામગીરી તથા રોડ રસ્તાઓની કામગીરીની કમિશ્નર પ્રભવ જોષી દ્વારા સમીક્ષા કરવામાં આવી. આ તમામ વિકાસ કામો વર્ષાઋતુ પહેલા યુદ્ધના ધોરણે અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓ અને ઈજનેરને સ્થળ પર જ જરૂરી ટેકનિકલ તેમજ સુચારુ આયોજન માટેનું મહત્વનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. કમિશ્નર પ્રભવ જોષી દ્વારા જણાવવામાં આવેલ કે, વર્ષાઋતુ પહેલા તમામ રોડના રિસ્ટોરેશન અને પ્રિ-મોન્સૂન સફાઈ અભિયાન વ્હેલી તકે પૂર્ણ કરવામાં આવશે.


