પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકો માટે બની આશીર્વાદરૂપ, જૂનાગઢ જિલ્લામાં ૪૫,૩૩૧ લોકોને સારવાર, રૂ. ૮૯.૭૦ લાખની સહાય
જિલ્લામાં NFSA રાશનકાર્ડ ધરાવતા ૭.૮૭ લાખથી વધુ નાગરિકો પણ આરોગ્ય વીમાથી રક્ષિત
જૂનાગઢ તા.૨૦
એક સમયે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારમાં ગંભીર બીમારી આવી પડે ત્યારે સારવારના ખર્ચ માટે દેવું કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હતી. સાથે જ સારવાર માટે અનેક મુશ્કેલીઓ પણ ખરી જ. પરંતુ આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળી છે અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ માટે સુનિશ્ચિત પણ બન્યા છે.
જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૪૫,૩૩૧ લોકોને વિવિધ બીમારીઓમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારનો લાભ મળ્યો છે. કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વીમા કવચથી સુરક્ષિત લાભાર્થીઓને એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર મળી હતી. આ માટે સરકાર દ્વારા રૂ. ૮૯ લાખ ૭૦ હજારની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી હતી. આમ, આ યોજના અંતર્ગત મળતી સારવારથી અનેક પરિવારોને ગંભીર બીમારી સમયે થનારા સારવાર ખર્ચના આર્થિક બોજમાંથી રાહત મળી છે.
જૂનાગઢ જિલ્લામાં જૂન-૨૦૨૬ સુધીમાં NFSA રાશનકાર્ડ ધરાવતા ૭.૮૭ લાખથી વધુ નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત હેઠળ ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વિના આયુષ્માન ભારત - આયુષ્માન વય વંદના યોજના હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૮,૪૫૭ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે.
ઉપરાંત આશા બહેનો અને આંગણવાડી વર્કર રાજ્ય સરકારના વર્ગ- ૩ અને ૪ના કર્મચારીઓને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.


