જૂનાગઢમાં જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું

૨૦ જેટલા યોગ્ય ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

જૂનાગઢમાં જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું

જૂનાગઢ, તા.૧૪
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તારીખ ૧૪/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુંઓ વચ્ચે સેતુરૂપ બનવાના ઉમદા આશયથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના ૮૦૦ થી વધુ ઉમેદવારોને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૫૦ થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતીમેળા કાર્યક્રમની શરૂઆત સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સમુહ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.
ત્યારબાદ જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓકે જેમ કે એમ્પ્લોયમેંટ કાર્ડ રજીસ્ટ્રેશન, નિવાસી તાલીમ યોજના, આગામી માસમાં યોજાનારા વિવિધ ભરતી મેળા, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાથી ઉમેદવારો તેમજ નોકરીદાતાશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
તેમજ ઉપસ્થિત રોજગારવાંચ્છુ ઉમેદવારોને જરૂરી પ્રોત્સાહન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાઓ દ્વારા તેમની પાસે ખાલી રહેલી જગ્યાઓ, મહેનતાણું, અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા.
જેમાં કુલ ચાર નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાંથી હાજર રહેલા પૈકી ૨૦ જેટલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તેમ જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.