વંથલી તાલુકામાં વસ્તી ગણતરીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષક દંપતીનું સન્માન કરાયું

વંથલી તાલુકામાં વસ્તી ગણતરીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષક દંપતીનું સન્માન કરાયું

જૂનાગઢ તા.૧૯
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા (ઘરયાદી)ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન તાલુકાના તમામ કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી, જેમાં ધંધુસર અને શાહપુર ગામના એક શિક્ષક દંપતીએ નોંધપાત્ર ઉત્કૃષ્ટ કામગીરી દાખવીને અન્યો માટે પ્રેરણા પૂરી પાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધંધુસર ગામના બ્લોક નંબર ૧૫ના ગણતરીદાર હિંગરાજિયા ઉર્વશીબેન રમણિકલાલ (શિક્ષિકા, પ્રાથમિક શાળા, ધંધુસર) દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માત્ર પાંચ દિવસમાં પૂરી કરવામાં આવી હતી. જ્યારે તેમના પતિ અને શાહપુર ગામના બ્લોક નંબર ૧૫૬ના ગણતરીદાર વાછાણી વિમલકુમાર અશોકભાઈ (આચાર્ય, પ્રાથમિક શાળા, મહોબતપુર) દ્વારા આ કામગીરી માત્ર સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી.
આ શિક્ષક દંપતીએ દાખવેલી કાર્યનિષ્ઠા અને ઝડપી કામગીરી બદલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી, વંથલીના ચાર્જ ઓફિસર અને મામલતદાર(એસ.બી. ખાંભલ્યા) દ્વારા તેઓને પ્રશસ્તિપત્ર અને ભેટ આપી બિરદાવવામાં આવ્યા છે. આ દંપતીની ઉત્કૃષ્ટ સનિષ્ઠ કામગીરી અન્ય બાકી રહેલા ગણતરીદારો માટે ઉત્સાહ અને પ્રેરણાસ્રોત બની રહી છે.