જાહેર સ્થળે સરકારી ખર્ચે નેતાઓના પુતળા મુકી શકાય નહીં : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.ર૩
દેશમાં નેતાઓના પૂતળા (સ્ટેચ્યુ) મુકવાની શરૂ થયેલી હોડમાં જે રીતે જાહેર સ્થળો-બગીચાઓ-માર્ગના કોર્નર પર સરકારી ખર્ચ પુતળાઓ મુકવામાં આવી રહ્યા છે તેની સામે પ્રશ્ન ઉઠાવતા સુપ્રીમકોર્ટે શા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરી આ પ્રકારના પુતળા મુકાયા છે ? તે મુદો ઉઠાવીને તામિલનાડુમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિના પુતળા મુકવા સરકારી ખર્ચ મુકવાની માંગણી ફગાવી દીધી છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે પુર્વ નેતાઓની મહિમા વધારવા સરકારોએ જાહેર ભંડોળનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી.
તામિલનાડુના તિરૂનલ્વેલી જીલ્લામાં પુર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિની પ્રતિમા મુકવાના મુદે સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. રાજય સરકારે ડીએમકેના આ પુર્વ નેતાની જાયન્ટ પ્રતિમા આ જીલ્લાના વાલીપુર ડેઈલી વેજીટેબલ માર્કેટના પ્રવેશદ્વાર પાસે મુકવાની મંજુરી સુપ્રીમ કોર્ટ પાસે માંગી હતી પણ સરકારી ખર્ચે મૂર્તી
મુકવાની મંજુરી સર્વોચ્ચ અદાલતે આપી હતી નહીં.
જો કે રાજય સરકાર વતી રજુઆત થઈ હતી કે કરૂણાનિધિની પ્રતિમા મુકવા પાછળ રૂા.૩૦ લાખનો ખર્ચ તો થઈ ગયો છે. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે પણ આ રીતે જાહેરનાણાથી નેતાઓની પ્રતિમા મુકવાની મંજુરી આપી ન હતી.


