મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદમુંબઈ અને પૂણે સહિતનાં ક્ષેત્રોમાં જળબંબાકાર, ચારનાં મોત બીડમાં એરફોર્સ, આર્મીનું રેસ્ક્યુ મિશન
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૭
મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદને પગલે પરિસ્થિતિ વિકટ બની છે. મરાઠવાડાના આઠ પૈકીના પાંચ જિલ્લા જળમગ્ન બન્યા હતા. અનેક નદીઓમાં ઘોડાપૂર આવતાં સંખ્યાબંધ ગામોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા એરફોર્સ અને લશ્કરની મદદ લેવામાં આવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ભારે વરસાદને પગલે તંત્રએ બીડ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરી હતી. મુંબઈ અને પૂણે સહિતના સંખ્યાબંધ શહેરોમાં ગાજવીજ સાથે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જાેવા મળી હતી. વરસાદ સંલગ્ન ઘટનાઓમાં ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. બીડમાં પૂરની સ્થિતિ વધુ વણસતાં ભારતીય વાયુદળના ચોપરની મદદથી ૧૧ લોકોને એરલિફ્ટ કર્યા હતા. જ્યારે લશ્કર દ્વારા ૪૦ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું હતું. મરાઠાવાડાના બીડ જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અષ્ટિ તાલુકાના કડા ગામ નજીકના શેરી ખુર્દમાં એક જ પરિવારના અગિયાર લોકો ફસાયા હતા. સોમવારે નાસિકથી એરફોર્સનું ચોપર બોલાવીને એરલિફ્ટ કરી તમામનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. લશ્કરની ટુકડીએ એનડીઆરએફ તથા અન્ય એજન્સીની મદદથી આ જ વિસ્તારમાંથી અન્ય ૪૦ લોકોને બચાવ્યા હતા. ધારાશિવ જિલ્લાના કેશેગાંવમાં ૨૪ કલાકમાં ૧૦૫ મીમી વરસાદ નોંધાયો હતો. બીડ જિલ્લાના અષ્ટિ તાલુકાના આઠ ગામોનો મુખ્ય મથકથી સંપર્ક કપાઈ ગયો હતો. બીડ, લાતુર, ધારાશિવ, પરભણી અને હિંગોલી જિલ્લાના ૩૨ રેવન્યુ સર્કલમાં ભારે વરસાદ પડ્યો હતો.મુંબઈમાં રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ઓફિસના કલાકોમાં ટ્રાફિકની સમસ્યા સજાર્ી હતી. સોમવારે સવારે મોનોરેલ સેવા વધુ એક વખત ખોરવાઈ હતી. વરસાદને પગલે એક મહિનામાં બીજી વાર મોનોરેલ સેવા ઠપ થઈ હતી. સવારે ૭.૧૬ કલાકે વડાલા ખાતે એન્ટોપહિલ બસ ડેપો અને જીટીબીએન સ્ટેશન વચ્ચે ટ્રેનમાં તકનિકી ક્ષતિ સર્જાતા તે બંધ પડી હતી. તમામ ૧૭ મુસાફરોને સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. દાદર, કુર્લા અને બાંદ્રા સ્ટેશને લોકલ ટ્રેનના ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. થાણેમાં ગુડ્ઝ ટ્રેન પાટા પર ખોરવાતાં લોકલ ટ્રેન સેવાને અસર થઈ હતી.


