૩૧ માર્ચ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ક્રુડ ઓઈલનો ભાવ ૧૩૬ ડોલરને પાર
(એજન્સી) નવી દિલ્હી તા.૧૭:
ઇરાન યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં તણાવે ભારતીય અર્થતંત્ર માટે ગંભીર પડકારો ઉભા કર્યા છે. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતીય રિફાઇનરીઓ માટે ક્રૂડ ઓઇલના ખર્ચમાં ૯૩.ર નો જંગી વધારો થયો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, શુક્રવારે ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ ૧૩૬.૫૬ ડોલર પર પહોંચી ગયો હતો, જે યુદ્ધ શરૂ થયા પહેલા (૨૬ ફેબ્રુઆરી) માત્ર ૭૦.૯ ડોલર હતો. એવું માનવામાં આવે છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૩૧ માર્ચ પછી વધી શકે છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારાએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), HPCL, BPCL અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓના માજિર્નને સંપૂર્ણપણે ઘટાડી દીધું છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોએ ક્રૂડ ઓઇલ તેમજ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો છે, ત્યારે ભારતમાં તેલ કંપનીઓએ હાલ માટે ભાવ સ્થિર રાખ્યા છે.હોર્મુઝ કટોકટી વચ્ચે બજારમાં પ્રવેશવા માટે તૈયાર ૧૯ મિલિયન બેરલ રશિયન તેલથી ભરેલા ૩૦ ટેન્કર દરિયામાં ફસાયેલા છે. નિષ્ણાતો માને છે કે બજેટ લક્ષ્યો અને રાજકોષીય સંતુલનને અસર ન થાય તે માટે સરકાર ૩૧ માર્ચ સુધી ભાવમાં ફેરફાર કરવાની મંજૂરી આપશે નહીં.


