ભવનાથના મેળામાં માનવતાની મહેક : ધખધખતા તાપમાં આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા લાખો શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક છાશનું વિતરણ

ભવનાથના મેળામાં માનવતાની મહેક : ધખધખતા તાપમાં આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા લાખો શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક છાશનું વિતરણ
જૂનાગઢ : ગિરનારની ગોદમાં યોજાતો પરંપરાગત મહા શિવરાત્રિનો મેળો અત્યારે પૂર્ણ જોશમાં ખીલ્યો છે. હજારો-લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓ જ્યારે ભક્તિના રંગે રંગાયા છે, ત્યારે આકરા તાપ અને ગરમીમાં સેવાનું અમૃત પીરસવાનું કાર્ય આદિત્ય ફાઉન્ડેશન-જૂનાગઢ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સંસ્થાના અગ્રણી ભરતભાઈ બોરીચા અને હિરેનભાઈના માર્ગદર્શન હેઠળ ગિરનાર દરવાજા ખાતે શ્રદ્ધાળુઓ માટે અવિરત નિ:શુલ્ક છાશ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે મેળાના માર્ગો પર ઉમટતા યાત્રિકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી આદિત્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ 'નિ:શુલ્ક છાશ વિતરણ' કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ભવનાથ ક્ષેત્રમાં જતાં શ્રદ્ધાળુઓ માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થયું છે.
આ સેવાકીય પ્રવૃત્તિ મેળા દરમિયાન દરરોજ સવારના 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી સતત ચાલુ રાખવામાં આવે છે. બપોરના સમયે જ્યારે તાપ વધુ હોય છે, ત્યારે હજારો યાત્રિકો આ ઠંડી અને શુદ્ધ છાશનો લાભ લઈ પોતાની તૃષ્ણા છીપાવી રહ્યા છે.
સંસ્થાના સંચાલક ભરતભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દર વર્ષે મેળા દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં છાશ અને પાણી વિતરણ એ તેમનો મુખ્ય સેવા યજ્ઞ છે. ત્યારે "મહાદેવના સાનિધ્યમાં આવતા હરેક ભક્તની સેવા કરવી એ જ અમારું લક્ષ્ય છે. ગરમીના સમયમાં શ્રદ્ધાળુઓને રાહત મળે તે હેતુથી અમે આ આયોજન કર્યું છે."
આ પ્રશંસનીય કાર્યને મેળામાં આવતા સાધુ-સંતો અને ભાવિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યું છે. આદિત્ય ફાઉન્ડેશનની આ કામગીરીને કારણે ભવનાથનો મેળો માત્ર ભક્તિનો જ નહીં, પણ સેવાનો પણ ઉત્સવ બની રહ્યો છે.