યાત્રાધામ દ્વારકામાં એલ.પી.જી. ગેસની અછત :હોટલ રેસ્ટોરન્ટ કેટરીંગ વ્યવસ્થાને અસર

યાત્રાધામ દ્વારકામાં એલ.પી.જી. ગેસની અછત :હોટલ રેસ્ટોરન્ટ કેટરીંગ વ્યવસ્થાને અસર

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૩
દેશભરમાં ઠેરઠેર ઈરાન-ઈઝરાયલ-અમેરીકાના યુદ્ધની ગંભીર અસર એલપીજી ગેસના અછતના રૂપમાં વર્તાઈ રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ એલ.પી.જી. ગેસની અછતના લીધે હોટલ રેસ્ટોરન્ટ - કેટરીંગ વ્યવસાયીઓને મોટાપાયે અસર થઈ છે. યાત્રાધામમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય ટુરીઝમ આધારિત સ્થાનીય ધંધાર્થીઓને એલપીજીની અછતને લીધે કોમર્શીયલ બાટલા મેળવવા ખૂણે ખૂણે ઘુમવું પડી રહયુ છે. છેલ્લા બે દિવસથી આ પ્રકારની સ્થિતિ જોતાં કેટલાક હોટેલ રેસ્ટોરન્ટવાળાઓએ મર્યાદિત ગ્રાહકો સાથે ધંધો કરવાનું નકકી કર્યુ છે. જગતમંદિરના શિખર પર દરરોજ છ જેટલી ધ્વજાજીનું આરોહણ થતું હોય ઓખામંડળ ક્ષેત્રમાં બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ જેવા ધામિર્ક સ્થળો અને શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ જેવા પર્યટન સ્થળોની મુલાકાત હેતુ દરરોજ હજારો દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ આવતા હોય સમગ્ર ક્ષેત્રમાં ભોજન ભંડારા મનોરથીઓ માટે મોટા પ્રમાણમાં કેટરીંગનો વ્યવસાય પણ ચાલતો હોય હાલમાં એલપીજી ગેસની અછતની સ્થિતિમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહયો છે. અમૂક ધંધાર્થીઓએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાકડા અને કોલસાથી રસોડા કરવાનું ચાલુ કરી દીધું છે. જો યુદ્ધની સ્થિતિ લંબાશે તો દ્વારકામાં આવતા ભાવિકો - મનોરથીઓ તેમજ સ્થાનીય ધંધાર્થીઓ માટે પરિસ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વચ્ચે સ્થાનીય ધંધાર્થીઓમાં ચિંતાનું મોઝુ પ્રસર્યુ છે.