મોન્થા વાવાઝોડાએ આંધ્રપ્રદેશ, ઓરીસ્સામાં વિનાશ વેર્યો
૧૧૦ કિમીની ઝડપે પવન ફુંકાયો : ૩ના મોત : લાખો હેકટરમાં કૃષી પાકનો નાશ
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
આંધ્રપ્રદેશના દરીયા કિનારા પર ત્રાટકેલા મોન્થા વાવાઝોડાએ મોટી તારાજી સર્જી છે. વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત વિજ થાંભલાઓ ઉખડી ગયા હતા.લાખો હેકટરમાં કૃષિપાક નષ્ટ થયો છે. ત્રણ લોકોના મોત નિપજયા હતા.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થતા અનેકભાગો જળબંબાકાર બન્યા હતા. ઓરીસ્સા, ઝારખંડ, તામીલનાડુ તથા પશ્ચિમ બંગાળ સુધી તેની અસર વર્તાઈ છે. ઝડપી પવન સાથે ભારે વરસાદ
વરસ્યો હતો.
હવામાન વિભાગનાં રિપોર્ટ પ્રમાણે ૯૦ થી ૧૦૦ કીમીની ઝડપના પવન સાથે મોન્થા વાવાઝોડુ ત્રાટકયુ હતું. પવનની ગતિ ૧૧૦ કીમી સુધી પહોંચી હતી.મધરાત બાદ તે આંધ્રના કાંઠાળ ભાગો પરથી પસાર થઈને નબળુ પડી ગયુ હતું. જોકે તેના પ્રભાવ હેઠળ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને હજુ વરસાદી દોર યથાવત રહેવાની સંભાવના છે.
૧૦૦ કીમીની ઝડપ સાથે ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશમાં ભારે તારાજી સર્જાઈ છે. સેંકડો ઝાડ ઉખડી ગયા હતા વિજ થાંભલાઓ જમીનદોસ્ત થતા વિજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. મકાન પર ઝાડ પડવા જેવી દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા.
રાજય સરકારે સાવચેતીનાં ભાગરૂપે નાઈટ કરફયુ લાગુ કર્યો હતો. વાવાઝોડાથી જાનમાલની ખુવારી રોકવા માટે શ્રેણીબદ્ધ પગલા લેવાયા હતા. ટ્રેન-વિમાની વ્યવહાર પણ અટકાવાયો હતો. વાવાઝોડુ પસાર થઈ ગયા બાદ આજથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. વાવાઝોડા-વરસાદમાં હજારો હેકટર જમીનમાં કૃષિ પાક સાફ થઈ ગયો હતો.


