સાબરકાંઠાના મજરા ગામે ભૈરવ મંદિરના વહીવટ બાબતે જુથ અથડામણ : ૧૦૦ વાહનો સળગાવાયા
(બ્યુરો) સાબરકાંઠા તા.૧૮
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં ૭ થી ૮ લોકોને ઈજા પહોંચી હતી. આ અથડામણમાં કુલ ૧૦૦ જેટલા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, કેટલાક ઘરોના બારી-બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે. એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે. ડીવાયએસપી એ.કે.પટેલે જણાવ્યું હતું કે, પોલીસે ૬૦ વ્યક્તિ સામે નામજોગ સહિત ૧૨૦ સામે ગુનો દાખલ કર્યો છે. જુની અદાવતમાં બબાલ થઇ હતી. આ જૂથ અથડામણમાં ૧૦થી વધુ લોકોને ઇજા થઇ છે. ૨૦થી વધુ વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે. પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગત રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ સ્પષ્ટ થયો છે. ગામમાં આવેલા ભૈરવ મંદિરના વહીવટની જૂની અદાવત અને સરપંચને લગતાં વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ તેના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી.


