સાહસના શોખીનો માટે સુવર્ણ તક: રાજ્ય સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે

આગામી તા. ૦૯ મે થી શરૂ થતી આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો તા. ૩૧, માર્ચ સુધી અરજી કરી શકશે

સાહસના શોખીનો માટે સુવર્ણ તક: રાજ્ય સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે

રાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિઓના શોખીન બાળકો તેમજ યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ કોર્ષનું આયોજન કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટે ST બસ અથવા રેલ્વે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે.
વધુમાં, પર્વતારોહણ તાલીમ શિબિર અંતર્ગત એડવેન્ચર કોર્ષ તા. ૦૯ થી ૧૫ મે, ૨૦૨૬ સુધી યોજાશે. જેમાં ૮ થી ૧૩ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. ઉપરાંત એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્ષ તા. ૧૮મી મે થી ૦૧ જૂન, ૨૦૨૬ સુધી યોજાશે. આ કોર્ષમાં ભાગ લેવા ઈચ્છુક ૧૫ થી ૪૫ વર્ષના ઉમેદવારોએ ઉપરોક્ત સંસ્થા તથા તેના પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્ષ A અથવા B ગ્રેડ સાથે પાસ કરેલો હોવો જોઇએ. આ ઉપરાંત તા. ૦૯ મે થી ૦૭ જૂન, ૨૦૨૬ સુધી યોજાનાર કોચિંગ રોક ફ્લાઇમ્બીંગ કોર્ષમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ ઉપરોક્ત સંસ્થા ખાતે એડવાન્સ કોર્ષ A અથવા B ગ્રેડ સાથે પાસ કર્યો હોવો જોઈએ. આ કોર્ષમાં ભાગ લેવા ઉમેદવારની વય મર્યાદા ૧૬થી ૪૫ વર્ષની સાથે તેમણે ધો. ૧૦ પાસ કરેલું પણ હોવું જોઈએ. આ ત્રણેય કોર્ષમાં ભાગ લેવાની અંતિમ તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ છે, તેમ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ દ્વારા જણાવવામાં આવ્યું છે.    
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતની હોય તેવા ઉમેદવારે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી કરવાની        રહેશે. આ નિયત અરજી ફોર્મનો નમુનો સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેળવી શકાશે. જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર અથવા દાખલો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવારે અકસ્માત-ઇજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય જોડવાની રહેશે.
આ ઉપરાંત તાલીમાર્થી જે કોર્ષમાં સહભાગી થવા માંગતા હોય તે કોર્ષનું નામ અરજીના મથાળે સ્પષ્ટ લખવાનું રહેશે. અધુરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પિનકોડ નં. ૩૦૭૫૦૧ના સરનામે સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલવાની રહેશે.
પસંદગી થયેલા તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઇલ, ટેલિફોન દ્વારા જ જણાવવામાં આવશે. આ કોર્ષને લગતી વધુ માહિતી માટે સંસ્થાના મોબાઈલ નં. ૬૩૭૭૮૯૦૨૯૮ પર ઓફિસ સમય દરમિયાન જાહેર રજા સિવાય સંપર્ક કરવા, યાદીમાં જણાવાયું છે.