માંગરોળ ચા બજારમાં જર્જરીત દુકાનનો મલબો ધરાશાયી થતાં બેના મોત
દાદા - પોત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યા અચાનક દુકાન ધરાશાયી થતાં દટાઈ ગયા હતા: દુકાન માલિક માંગરોળ બૈયતુમાલ ફંડ અને કબજેદાર ભાડુઆત વિરુદ્ધ એફઆઈઆર.
માંગરોળ તા. 05
જુનાગઢ જિલ્લાના માંગરોળખાતે ગાંધી ચોક નજીક ચા બજાર વિસ્તારમાં એક જર્જરીત હાલતમાં બંધ પડેલી દુકાન ધરાશાયી થતાં બે રાહદારીઓના મોત થયા છે. દાદા-પૌત્ર મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યા અચાનક દુકાન ધરાશાયી થતાં બંને દટાઈ ગયા હતા. ડેપ્યુટી કલેકટર અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે માંગરોળમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે માંગરોળ પાલિકાના ચીફ ઓફિસર રામજી ધોળકિયા એ દુકાન ના મુળ માલિક ધી માંગરોળ બૈયતુમાલ ફંડ અને કબજેદાર ભાડૂઆત અ. ગની હાજી નૂરમુહમ્મદ મેમણ વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
આ ઘટનાની વિગતો એવીછે કે, માંગરોળના ચુનાવાવ વિસ્તારમાં રહેતા હુસેનભાઈ કાસમ મોભી ( ઉ.વ. 55) તેમના પૌત્ર ઝૈદ ઝુબેર મોભી (ઉ. વ.5) બંને દાદા પૌત્ર સવારે ઘરેથી ચા બજારમાં નળ અને પાઈપ લેવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેઓ ચા બજારના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા કે અચાનક તેઓની માથે જર્જરીત હાલતમાં બંધ પડેલી દુકાનનો મલબો ધરાશાયી થતાં બંને દટાઈ ગયા હતા. રાહદારીઓ દોડી આવ્યા અને હંગામી ધોરણે તેઓને નિકાળવાના પ્રયાસ કર્યો હતા. પરંતુ પૌઢ હુસૈનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ બાળક હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. જ્યારે એક ઝરયાવાડ ના ખાન સાહબનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.ઘટનનાની જાણ થતા જ તાત્કાલીક અસરથી માંગરોળ મામલતદાર વૈભવીબેન ડી. મોરી ડેપ્યુટી કલેકટર વંદનાબેન મીણા, પીઆઈ દેશાઈ અને પાલિકા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દૂકાન માલિક ટ્રસ્ટના સંચાલકો અને કબજેદાર ભાડુઆતને સ્થળ પર બોલાવી પૂછપરછ કરી હતી. મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી તેમજ સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપી. તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક અસરથી શહેરની તમામ જર્જરિત ઈમારતોની યાદી બનાવી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. પરિણામે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગુલઝાર ચોક નજીક એક જર્જરીત મકાનનું ડેમોલેસન પણ કરવામાં આવ્યું છે. આ મામલે ડીવાયએસપી કોડીયાતરે પાલિકા ચીફ ઓફિસરની ફરિયાદ લેવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દૂકાનદારને 2024 અને ઓગષ્ટ 2025 મા પાલિકા તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી હતી. હાલ માંગરોળ પાલિકામા જેટલા પણ જર્જરીત મકાન પાલિકામાં નોંધાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નિયમાનુસાર ડેમોલેશન કરવામાં આવશે અને એનું જે પણ બીલ બનશે તે મકાન માલિક પાસે વસુલવામાં આવશે.માંગરોળ પોલીસે ચિફ ઓફિસરની ફરિયાદના આધારે મુળ માલિક ધી માંગરોળ બૈયતુમાલ ફંડ અને કબજેદાર ભાડુઆત અ. ગની નૂરમુહમ્મદ મેમણ વિરુદ્ધ ગુનો દાખલ કરી એફઆઈઆર કરી દીધી છે.
આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરમાં અનેક જર્જરીત હાલતમાં બંધ પડેલી બિલ્ડીંગો વિરુદ્ધ શું તંત્ર ફક્ત નોટિસો આપવાની ફોર્માલિટી જ પૂરી કરશે..? કે પછી આવી હજુ વધુ જીવલેણ ઘટનાઓ બનવાની રાહ જોશે..? તેવા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના તંત્રની ગુનાહિત બેદરકારીનું પરિણમ છે. પાલિકા તંત્રને બિલ્ડીંગ જર્જરિત હોવાની જાણ હોવા છતાં 2024મા ફક્ત નોટિસો આપી છટક બારી કરી જોખમી મલબો કેમ રહેવા દિધો? તંત્રની બેદરકારીના પાપે જ બે જીંદગીઓ હતો હોમાઈ ગઈ. આ માટે ચિફ ઓફિસર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
માંગરોળ ચા બજારમાં ધી માંગરોળ બૈયતુમાલ માલ ફંડની માલિકની વર્ષો જુની દુકાન પર ભાડુઆતનો 62 વર્ષથી કબજો હતો. માંગરોળ બૈયતુમાલ ફંડે 12/06/1963 ના રોજ શેઠ મામદ નૂરમુહમ્મદને માસિક 16/- રૂપિયાથી ભાડે આપી હતી. હાલ તેમના વારસદાર મેમણ હાજી અ. ગની કબજેદાર હતા. આ બિલ્ડિંગ જર્જરીત હોવાથી બૈયતુમાલ ફંડે પણ કબજેદારો ને વારંવાર સુચનાઓ આપી આગાહ કર્યા હતા. અને કબજો બૈયતુમાલ ને સોપી દેવા પણ સુચન કર્યુ હતું. પરંતુ કબજેદારોએ કોઈ વાત ધ્યાને લિધી નહોતી તેવું બૈયતુમાલ ફંડે જણાવ્યું છે.


